હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા
ડીસા તાલુકાના મુડેઠા ગામે ભાઇ બીજના દિવસે નકળંગ ભગવાનના મંદિરે મેળો ભરાયો હતો. જ્યાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અશ્વ દોડ યોજાઇ હતી. આ અંગે કથા એવી છે કે અગાઉ વર્ષો પહેલા રાજસ્થાનમાં આવેલા જાલોરના વિરમસિંહ ચૌહાણ ના રજવાડા ઉપર દિલ્લીના બાદશાહ અલાઉદ્દીન ખીલજીએ હુમલો કર્યો.
તેમનાં સાથીઓએ કેસરિયા કરવાનું નક્કી કરતાં વિરમસિંહે પોતાની કુંવરી ચોથબાને સાધુ અચળનાથ સાથે જંગલમાં જવાનો આદેશ કર્યો હતો. આ સાધુ મહાત્મા ચોથબાને લઇને ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામે ફરતા-ફરતા આવ્યા હતા. તેવા સમયે પેપળુમાં પણ રાજવી દેવસિંહ વાઘેલા રાજ કરતા હતા. આથી સાધુએ કુંવરી ચોથબાના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને જેમાં સાધુએ મુડેઠા ગામનાં રાઠોડ કુળના ભાઈઓને ધર્મના ભાઇ બનાવ્યાં હતાં. તેઓ લોંખડનું બખતર પહેરીને લગ્નમાં ગયા હતા તે સમયે કુંવરી ચોથબાએ વચન માગ્યું હતું કે જેવી રીતે તમે લોખંડનું બખતર પહેરીને આવ્યા છો તેવી રીતે ભાઈબીજના દિવસે રાત્રે ધર્મની બહેન ને ચુંદડી આપવા અશ્વ ઉપર સવાર થઈ લોખંડનું બખતર પહેરીને દર વર્ષે મળવા આવજો. જ્યાં ચોથાબાના લગ્ન કરાવી આ સાધુ મહાત્મા અચળનાથ ત્યાંથી રવાના થઈ ગયા હતા. તેઓ પાટણ તાલુકાના સગોલિયા હનુમાનની જગ્યામાં સ્થાયી થયા અને ત્યાં રહ્યા. થોડાક સમય બાદ ચોથબાનુ અવસાન થયું. તેમને યાદગારીમાં આ રાજવી દેવ સિંહ વાઘેલા પેપળું મુકામે શ્રી નકળંગ ભગવાનનું ભવ્ય મંદિર બનાવ્યું. જે આજે હયાત છે. ત્યાં આજે પણ ભાઈબીજના દિવસે મુડેઠા આને નેસડા ગામ ના રાઠોડ કુળના ભાઇઓ બહેનને ચુંદડી આપવા નો રિવાજ પૂરો કરે છે
અને સોમવારે મુડેઠા થી પેપળું ગામે સવામણ લોખંડનું બખતર પહેરીને ચુંદડી આપવાની પ્રથા નિભાવવા પેપળુ મુકામે ગયા હતા.
બ્યુરો ચીફ (ઉત્તર ગુજરાત) : ગંગારામ ચૌહાણ